નથી એકે ઘડીનો નિરધાર

Nathi eke ghadno nirdhar

દેવાનંદ દેવાનંદ
નથી એકે ઘડીનો નિરધાર
દેવાનંદ

તારા માથે નગારાં વાગે મોતનાં રે,

નથી એકે ઘડીનો નિરધાર ! તો જાણ્યા નહિ જગદીશને રે.

મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જાતાં લાગી વાર ! તો ય૦

તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ ! તો ય૦

અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ ! તો ય૦

રોમે કોટિ વીંછી તણી વેદના રે, દુઃખ પામ્યો તું દૈવના ચોર! તો ય૦

સગાં સ્વાર્થી મળ્યાં સહુ લૂંટવા રે, તેમાં જરી યે ચાલે જોર! તો ય૦

જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે, થયું દેહ તજ્યાનું તત્કાળ ! તો ય૦

‘દેવાનંદ’ કહે જાણ્યા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાળ. તો ય૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 157)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946