નથી એકે ઘડીનો નિરધાર
Nathi eke ghadno nirdhar
દેવાનંદ
Devanand
દેવાનંદ
Devanand
તારા માથે નગારાં વાગે મોતનાં રે,
નથી એકે ઘડીનો નિરધાર ! તો ય જાણ્યા નહિ જગદીશને રે.
મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જાતાં ન લાગી વાર ! તો ય૦
તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ ! તો ય૦
અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ ! તો ય૦
રોમે કોટિ વીંછી તણી વેદના રે, દુઃખ પામ્યો તું દૈવના ચોર! તો ય૦
સગાં સ્વાર્થી મળ્યાં સહુ લૂંટવા રે, તેમાં જરી યે ન ચાલે જોર! તો ય૦
જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે, થયું દેહ તજ્યાનું તત્કાળ ! તો ય૦
‘દેવાનંદ’ કહે ન જાણ્યા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાળ. તો ય૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 157)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
