તૃણાંકુરની જેમ

ફૂટી નીકળ્યા છે

ઠેર ઠેર જુલમગાર.

એમના દમનનો કોરડો

છેવાડેની ગભરું પીઠ પર

સટ્ટાક્ સોળ પાડે.

પીંછા જેમ ફંગોળાતું

ભયનું લખલખું

આમ

કાયમ કંપાવતું રહે એમને.

પણ

‘કોઈ ઉદ્ધારક આવશે’ની

જપમાળાના મણકા

હવે ઘસાઈ ગયા છે.

એમનામાં

ફૂંકાઈ રહ્યો છે

સ્વાધીનતાનો પવન.

એટલે

હવે તેઓ જાતે

એક પછી એક

તૃણાંકુરોને ખેંચી કાઢશે

મૂળમાંથી....

સ્રોત

  • પુસ્તક : હાંસિયામાં હું (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : પ્રિયંકા કલ્પિત
  • પ્રકાશક : ગુજરાત વિવિધભાષી સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000