અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં

રાધાનું નામ યાદ આવ્યું,

રુકિમણીની સોડ તજી ચાલ્યા માધવ,

બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘુઘવાટ

દૂર યમુનાના નીરને વલોવે,

સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની

આજને અતીતમાં પરોવે :

કેદ અજાણી દીવાલોમાં, જાણીતી

કુંજગલી : કેમ કરી જાવું?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી

ભરતી ગોકુળથી આવે,

મહેલની સૌ ભોગળ ને પાર કરી માધવના

સૂનમૂન હૈયાને અકળાવે.

ભીતર સમરાંગણમાં ઊભો અર્જુન

એને કેમ કરી ગીતા સંભળાવું?

સ્રોત

  • પુસ્તક : ચાલ, વરસાદની મોસમ છે (પૃષ્ઠ ક્રમાંક 503)
  • સર્જક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ
  • વર્ષ : 1999