હવે વીત્યું જ્યારે અરધુંપરધું યૌવન, મને

તમે દીધી રાતો સ્મરણ કરી નિશ્વાસ ભરવા;

બહુ મોડી મોડી હૃદયતલમાં કૂંપળ ફૂટી—

વસંતો વીતી પછી કુસુમ લાગ્યાં પમરવા.

હતાં ક્યાં, જ્યારે ઉપવનની રચાતી હતી ધરા?

અને મેં ઝંખી’તી દગ મહીં મનોહારી પ્રતિમા!

ઘણાં પુષ્પો મારે હૃદય પ્રગટીને લય થયાં

વસંતે નિશ્વાસો ભરી નીરખી’તી મુજ દશા.

હવે પુષ્પો ખીલ્યાં પણ સહવાસે સુરભિને

લઈ શ્વાસે વાટે વિચરવું હવે શક્ય; અવ ક્યાં

તમારા હૂંફાળા કર મહીં મને સાંત્વન? તમે

રડો તો સ્કંધે તવ શિર સમાવી નવ શકું.

પ્રભુ પૂછું શું અકળ વર કે શાપ? હમણાં

ઉરે મારા ખીલે પ્રિયસ્મરણનાં ફૂલ નમણાં.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ