કેણી પેરે ભરીએ આછાં નીર

keni pere bharie aachha nir?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કેણી પેરે ભરીએ આછાં નીર
નરસિંહ મહેતા

કેણી પેરે ભરીએ આછાં નીર રે, જમનાને આરે વાં'લા?

ધુતારા છે ગોકુળિયાના લોક રે, શામળિયા વા'લા.

સોના રૂપાનો મારો ઘડ્યો રે ઘડૂલો વા'લા,

ઊંઢણીએ છે રતન જડાવ રે, શામળિયા વા'લા.

તાણ મા તાણ મા હાર, રે મારો તૂટે વા'લા,

મોતીડાં વેરાશે ગિરધર લાલ રે જમનાને આરે વા'લા.

માથે મટુકી ગોપી રે, વનડામાં રોકી વા'લા,

જાય છે મારી સહિયરોનો સાથ રે, શામળિયા વા'લા.

નરસૈંયાનો સ્વામી રે મને મળિયો વા'લા,

ઉતાર્યાં છે ભવ પાર રે શામળિયા વા'લા.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941