સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે

saanj same shaamaliyo vahaalo vrundavanthii aave

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે
નરસિંહ મહેતા

સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે;

આગળ ગૌધન, પાછળ સજન મનમાં મોહ ઉપજાવે. સાં૦

મોર-મુગટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે;

પહેર્યાં પીતાંબર, ફૂલની પછેડી, ચુઆ-ચંદન મહેકે. સાં૦

તારામંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિયો હીરો,

તેમ ગોવાળામાં ગિરિધર શોભે, હરિ હળધરનો વીરો. સાં૦

વહાલાજીનું રૂપ રુદેમાં વસિયું, મનડું તે ધસિયું મારું;

આળ કરી આલિંગન દીધું, તન-મન મુખ પર વારું. સાં૦

વહાલાજીનું રૂપ મહા શુભકારી, રસિયા વિણ કેમ રહીએ?

નરસૈંયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. સાં૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994