બગડેલો દિવસ

bagdelo divas

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
બગડેલો દિવસ
વેણીભાઈ પુરોહિત

સવાર પડતાં દાતણ મળ્યું, ચિડાયો જરા,

છતાં તરત વાપર્યા કટુ શબ્દના કાંકરા.

કહો, કમનસીબ કેવું! નહિ ચાય સારી મળી,

બીમાર વહુ પીરસી ગઈ દુણાયલી ખીચડી.

છતાંય થઈ વીતરાગ, ઘર બ્હાર હું નીસર્યો,

મળી બસ-ટ્રામ, ટેક્સી કરી વ્યર્થ ખર્ચો કર્યો.

ઘરે ક્ષુભિત, સાંજના નહિ જમ્યો સુખે સ્વાદથી,

જલ્યા કરતો હતો દિવસની દુઃખી યાદથી.

ગયો દિવસ ઠેરઠેર કંઈ વ્યર્થ કંકાસમાં,

વીતી ગઈ વિચારમાં મધરાત નિઃશ્વાસમાં.

અનિદ્ર અકળાઈને તરફડ્યો, ન'તી શુદ્ધિયે.

તહીં ગમગીન હૃદયને કહ્યું બુદ્ધિએ :

સ્મરે, ફરી ફરી સ્મરે ગત વ્યથા તમી વાત કાં?

ખરાબ દિન તો ગયો, પણ બગાડવી રાત કાં?

સ્રોત

  • પુસ્તક : દીપ્તિ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
  • વર્ષ : 1956