દિવાળીબાઈ

મધ્યકાલીન ભક્ત-કવયિત્રી.

  • favroite
  • share

દિવાળીબાઈનો પરિચય

મધ્યકાલીન ભક્ત-કવયિત્રી. તેમનો જન્મ ડભોઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ઈ. સ. ૧૭૯૧ (સંવત ૧૮૪૭)માં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે દીવાળીબાઈના પિતા પોતાનું અને દીકરીનું ગુજરાન ન થતાં, એક વૃદ્ધ સાધુને પોતાની દીકરી સોંપી ક્યાંક તીર્થયાત્રા માટે જતા રહ્યાનું કહેવાય છે. વૃદ્ધ સાધુ રામભક્ત હતા. તેથી તેમણે દીવાળીબાઈને અક્ષરજ્ઞાન આપ્યું અને રામભક્તિ પર તેમને દૃઢ કર્યાં. દીવાળીબાઈ રામભક્તિમાં નિરંતર મગ્ન રહેતાં હતાં. તેમની ભક્તિની વાત લોકોમાં પ્રસરતાં ઘણાં લોકો તેમનાં દર્શન કરવા અને તેમના મુખે રામકથા સાંભળવા આવતા હતા. ગોલવા કે ગોરવા ગામના એક પાટીદાર સત્સંગી જેઠાભાઈએ દીવાળીબાઈને પોતાને ગામ તેડાવી એક ઘર તેમને આપ્યું હતું. ત્યાં તેમણે રામમંદિર બંધાવ્યું. તે મદિરની પ્રતિષ્ઠા વખતે તેમના પાલક પિતા અને ગુરુ ગુજરી ગયા. તે વેળાએ લોકોએ તેમણે ખૂબ મદદ કરી. તે પછી દીવાળીબાઈ મંદિરમાં રહી રામભક્તિ અને કીર્તન કરવા લાગ્યાં. બીજું મંદિર તેમણે વડોદરામાં બંધાવ્યું હતું. ગોરવા અને વડોદરા રહીને તેમણે રામાયણની ગરબીઓ લખી હતી. એક વાર એક યાત્રાસંઘ અયોધ્યા જતો હતો. તેની સાથે દીવાળીબાઈ પણ ગયાં. તે પછી તેઓ ત્યાંથી પાછાં ફર્યાં નહોતાં. તેમનું અવસાન ત્યાં જ થયાનું મનાય છે.